એક જ પરિવારના ત્રણ કલાકારોને સંગીત અને સાહિત્ય ક્ષેત્રે ઉત્તમ કાર્યો બદલ મળ્યો ‘અતુલ્ય વારસો આઇડેન્ટીટી એવોર્ડ’
હાલમાં ગાંધીનગર ખાતે યોજાયેલ ‘અતુલ્ય વારસો આઇડેન્ટીટી એવોર્ડ ૨૦૨૪’ માં કલા અને સાહિત્ય થકી સંસ્કૃતિનું સંવર્ધન કરી રહેલા કચ્છના નામી કલાકારો ડૉ. કૃપેશ ઠક્કર અને તેમના સંતાનો વાચા ઠક્કર અને પર્વ ઠક્કરને આ રાજ્ય કક્ષાના પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.



ડૉ. કૃપેશ એ ગીતકાર, સંગીતકાર અને ગાયક તરીકે ગુજરાતી ફિલ્મોમાં તથા સંગીતજગતમાં નામના મેળવી છે. તો બાળ કલાકારો પર્વ અને વાચા એ ગાયન અને અભિનય ક્ષેત્રે ઉમદા સોપાન સર કર્યા છે. આ ત્રણે કલાકારો એ સનાતન સંસ્કૃતિ પર આધારિત પુસ્તકો પ્રકાશિત કરીને પણ લોકચાહના મેળવી છે. તેમના આ કાર્યો માટે અગાઉ પણ હંગામા, બીગ એફ એમ, શ્રી લોહાણા મહાપરીષદ જેવી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ એ તેમને પુરસ્કારોથી બિરદાવ્યા છે.


આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી શ્રી કપિલભાઈ ઠાકર એ ત્રણે કલાકારોને શુભકામના આપતા કહ્યું કે “સંગીત થકી ભારતીય સંસ્કૃતિ અને ધરોહરને વિશ્વફલક પર પ્રકાશિત કરવામાં આપનું યોગદાન પ્રશંસનીય છે. અતુલ્ય વારસો સંસ્થા પણ આપના ભવિષ્યમાં થનારા કર્મયોગમાં સાથ આપતી રહેશે.” તો પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ એ આશીર્વાદ આપતાં કહ્યું કે “સાહિત્યના માધ્યમથી શ્રીમદ ભગવદ ગીતા અને સનાતન સંસ્કૃતિને આપ ત્રણે જે નવીન સ્વરૂપે લોકો સુધી પહોંચાડો છો, એ અન્ય સર્જકો માટે પણ પ્રેરણારૂપ થશે.” ત્યાર બાદ વાચા અને ડૉ. કૃપેશ એ તેમના પુસ્તકો ‘સનાતન વર્ડ સર્ચ’ અને ‘અર્જુન ઉવાચ: ધ સ્પિરિચ્યુઅલ યાત્રા’ ઉપસ્થિત મહાનુભાવોને ભેટ આપી આભાર વ્યક્ત કર્યો હતો.
આ સંદર્ભે વાત કરતાં ડૉ. કૃપેશ એ કહ્યું કે “સંગીત સાથે સંસ્કૃતિ અને સાહિત્યને આવરી લેતો અમારો નિષ્કામ કર્મયોગ ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને અનેક શહેરોથી શરૂ થતાં ભારત અને વિશ્વ સુધી વિસ્તરી રહ્યો છે ત્યારે આવી નામાંકિત સંસ્થાઓ દ્વારા મળતો બહુમાન અમને આગળ વધવા પ્રોત્સાહિત કરશે.”
અત્રે ઉલ્લેખનીય છે કે આ પરિવારનો ‘પર્વ ફ્યૂઝન બેન્ડ’ સંગીત ક્ષેત્રે સક્રિય ભારતનો સૌ પ્રથમ પારિવારિક બેન્ડ છે. તેમના ૫૦થી પણ વધુ ભક્તિ, દેશભક્તિ અને પારિવારિક ગીતો વૈશ્વિક સ્તરે લોન્ચ થયા છે. તો વધુમાં આ પરિવાર ગિવ વાચા ફાઉન્ડેશન અંતર્ગત છેલ્લા દશ વર્ષોથી જનજાગૃતિ અને જનકલ્યાણ માટે ‘ગૂંજે ગીતા’ અને ‘ગ્લોબલ કલબફૂટ અવેરનેસ પર્વ’ જેવા વૈશ્વિક અભિયાનો ચલાવે છે.
Other Achievements


