Gujarati Articles

‘યત્ર નાર્યસ્તુ પુજ્યન્તે’ ના વિચાર સાથે વુમેન્સ પર્વ ૨૦૨૩ નું આદિપુર ખાતે ભવ્ય કાર્યક્રમ

હાલમાં ગિવ વાચા ફાઉન્ડેશન, અને કૃપ મ્યુઝિક જયારે ૧ થી ૮ માર્ચ સુધી ‘વુમન્સ પર્વ 23’ નું આયોજન કરી રહ્યું છે ત્યારે આદિપુર ખાતે તોલાની આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના સહિયારા પ્રયાસથી ઇન્ટરનેશનલ વુમન્સ ડે નું સુંદર કાર્યક્રમ કરવામાં આવ્યું. જેમાં ‘નારી હૈ નારાયણી’ પુસ્તકનું વિમોચન, ‘કૃપ ટોક્સ’, ‘બાતે અનકહી’ તથા ‘યત્ર નાર્યસ્તુ પુજ્યન્તે’ ગીતના લોકાર્પણનું આયોજન કર્યું હતું. વુમન્સ પર્વ વિષે વાત કરતા ગિવ વાચાના ટ્રસ્ટી નયનાબેન ઠક્કરે જણાવ્યું કે ‘છેલ્લાં સાત વર્ષથી સંસ્થા દ્વારા ઉજવાતા આ ઉત્સવનો હેતુ ઇન્ટરનેશનલ વુમન્સ ડે ને ભારતીય સંસ્કૃતિના સંદેશ ‘યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા’ સાથે ઉજવી આવનારી પેઢીને સનાતન ધર્મના ભવ્ય વારસા સાથે જોડી રાખવાનું છે.

કાર્યક્રમની શરૂઆત ‘કૃપ ટોક્સ શો’ દ્વારા કરવામાં આવી. આ શો માં વિદ્યાર્થીઓ, શિક્ષકોએ અને કવિઓએ ‘નારી’ વિષય પર લખેલી કવિતાઓ પ્રસ્તુત કરી હતી. ઉભરતા રચનાકારોને મંચ આપવાના ઉદેશ્યથી ગિવ વાચા સંસ્થા અને કૃપ પબ્લિકેશન દ્વારા ‘નારી હૈ નારાયણી’ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું. જેમાં કચ્છ અને ગુજરાતની વિવિધ શાળા અને કોલેજના ૭૦ થી પણ વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકોએ ઉપરાંત જાણીતા સાહિત્યકારો પોતાની કવિતાઓ આપી છે.

GV WP23 01
GV WP23 02
GV WP23 14

‘બાતેં અનકહી’ માં જાણીતા ગીતકાર, સંગીતકાર અને ગાયક ડૉ. કૃપેશે ફિલ્મો અને આલ્બમમાં ગીત લખવાની બારીકીઓના સ્વાનુભવનો વિદ્યાર્થીઓ અને મેહમાનોને પરિચય કરાવ્યો તથા બેસ્ટ સેલર બુક ‘અર્જુન ઉવાચ’ ના લેખક તરીકે સાહિત્ય ક્ષેત્રે આગળ વધવા માર્ગદર્શન પણ આપ્યું હતું. આ સાથે જ ‘વુમન્સ પર્વ’ અને ‘નારી હૈ નારાયણી’ બુકના થીમ સોંગ ‘યત્ર નાર્યસ્તુ પૂજયન્તે’ પર્વ ફ્યુઝન બેન્ડના કલાકારો દ્વારા રજુ કરવામાં આવ્યું હતું. જે ઉપસ્થિત મહેમાનોએ વધાવી લીધું હતું.

અંતે ‘નારી હૈ નારાયણી’ પુસ્તક અને ‘યત્ર નાર્યસ્તુ પૂજયન્તે’ ગીતનું લોન્ચિંગ અતિથી વિશેષ સાહિત્યકાર ડૉ. રમેશ ભટ્ટ ‘રશ્મિ’, કૃપ મ્યુઝિકના ચેર પર્સન ડૉ. પૂજા ઠક્કર, તોલાની ઇન્સ્ટીટ્યુટના પ્રિન્સીપાલ ડૉ. સુશીલ ધર્માની, કવિયત્રી પદ્માબેન મોટવાની, ગાયિકા અને લેખિકા ધ નોટેશન ગર્લ વાચા ઠક્કર, યંગેસ્ટ સીંગર અને એક્ટર પર્વ ઠક્કર તથા ડૉ. કૃપેશ ઠક્કરના શુભહસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે કૃપ મ્યુઝિક કંપની દ્વારા વિદ્યાર્થીનીઓ માટે સ્વરોજગાર અને આત્મનિર્ભર બનવાની તક આપતાં ‘કૃપ પાર્ટનર પ્રોગ્રામ’ ની જાહેરાત પણ કરવામાં આવી.

આ કાર્યક્રમના આયોજનમાં કોલેજના રીડર્સ એન્ડ રાઈટર્સ ક્લબના આગેવાનો સુશ્રી વિમ્મી સદારંગાની, શ્રી સંદીપભાઈ જાની તથા પ્રોફેસર ડૉ. પ્રતીક અંબસાના તેમજ અંજલી સેવક અને કલરવ રાઠોડે જહેમત ઉઠાવી. અત્રે નોંધનીય છે કે સાહિત્યક્ષેત્રે પ્રથમવાર શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને પોતાની કવિતા પ્રકાશિત કરવાની તક મળી છે.

Naari Hai Narayani Book Cover Give Vacha